Search This Blog

Tuesday, May 17, 2011

શ્રદ્ધાંજલિ ......રમેશ પારેખ ને ...આદીલ સાહેબ દ્વારા ....

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ

તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ



મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં

તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ



જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો

વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ



આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે

અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ



છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં

તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ



આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં

બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ



બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ

છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ



હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે

તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ



પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ

અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ



વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે

આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.



-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)

No comments:

Post a Comment