Search This Blog

Sunday, December 5, 2010

ઢળવાનું કહો........................- આદિલ મન્સુરી

પાંપણોને સહેજ ઢળવાનું કહો.
સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.

ચોકમાં આવીને મળવાનું કહો
લાગણીઓને પલળવાનું કહો.

દર્પણોમાંથી નીકળવાનું કહો
આ પ્રતિબિંબોને છળવાનું કહો.

લો સપાટી પર બરફ જામી રહ્યો
આ સમુદ્રોને ઉકળવાનું કહો.

સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે
હા કહો, સૂરજને ઢળવાનું કહો.

ભાર ઝાકળનો કળીની પાંપણે
પથ્થરોને પણ પલળવાનું કહો.

ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની
આ પવનને પાછા વળવાનું કહો.

પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની
આ અમાસોને પ્રજળવાનું કહો.

મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે
જે અકળ છે એને કળવાનું કહો.

- આદિલ મન્સુરી

No comments:

Post a Comment